અધ્યાય ૫
કર્મ-સંન્યાસ-યોગ
જ્ઞાનદશા
અર્જુન બોલ્યા: કહો સંન્યાસ કર્મોનો, યોગનોયે કહો તમે; બેમાંથી એક જે રૂડો, તે જ નિશ્ચયથી કહો. ૧/૫ શ્રીભગવાન બોલ્યા : કર્મસંન્યસ ને યોગ બંનેય શ્રેયકારક; બેમાંહી કર્મનો યોગ કર્મસંન્યાસથી ચડે. ૨/૫ જાણો તે નિત્ય-સંન્યાસી રાગ-દ્વેષ ન જે વિષે; દ્વંદ્વ મુક્ત થયેલો તે છૂટે બંધનથી સુખે. ૩/૫ સાંખ્ય ને યોગ છે ભિન્ન, બાળ ક્હે, પંડિતો નહીં; બેમાં એકેયને પૂરો પામતાં ફળ મેળવે. ૪/૫ જે સ્થાન મેળવે સાંખ્યો, યોગીયે તે જ પામતા એક જ સાંખ્ય ને યોગ દેખે જે, તે જ દેખતા. ૫/૫ પણ દુ:ખે જ સંન્યાસ પામવો યોગના વિના; મુનિ જે યોગમાં યુક્ત, તે શીઘ્ર તે બ્રહ્મ મેળવે. ૬/૫ યોગયુક્ત, વિશુદ્ધાત્મા, જીતેલો મન—ઇન્દ્રિયો, સર્વ ભૂતતણો આત્મા, તે ન લેપાય કર્મથી. ૭/૫ જુએ, સુણે, અડે, સૂંઘે, જમે, ઊંઘે, વદે, ફરે, શ્વાસ લે, પકડે, છોડે, ખોલે-મીંચેય આંખને. ૮/૫ ઇન્દ્રિયો નિજ કર્મોમાં વર્તે છે એમ જાણતો, માને તત્વજ્ઞ યોગી એમ 'હું કશું કરતો નથી'. ૯/5 બ્રહ્માર્પણ કરી કર્મ છોડી આસક્તિન કરે, પાપથી તે ન લેપાય, પાણીથી પદ્મપાન-શો. ૧૦/૫ શરીરે, મન-બુદ્ધિએ, માત્ર વા ઇન્દ્રિયે કરે, આત્માની શુદ્ધિને કાજે યોગી નિ:સંગ કર્મને. ૧૧/૫ યોગી કર્મફળો છોડી નિષ્ઠાની શાંતિ મેળવે; અયોગી ફળનો લોભીબંધાતો વાસના વડે. ૧૨/૫ સૌ કર્મો મનથી છોડી, સુખે આત્મવશી રહે નવદ્વારપુરે દેહી; ના કરે કારવે કંઇ. ૧૩/૫ ન કર્તાપણું, ના કર્મો સર્જતો લોકનાં પ્રભુ; ન કર્મફળયોગેય, સ્વભાવ જ પ્રવર્તતો. ૧૪/૫ | લે નહીં કોઇનું પાપ, ન તો પુણ્યેય તે વિભુ; અજ્ઞાને જ્ઞાન ઢંકાયું, તેણે સૌ મોહમાં પડે. ૧૫/૫ જેમનું આત્મ-અજ્ઞાન જ્ઞાનથી નાશ પામિયું, તેમનું સૂર્ય-શું જ્ઞાન પ્રકાશે પરમાત્મને.૧૬/૫ જેની આત્મા વિષે બુદ્ધિ, નિષ્ઠા, તત્પરતા, મન, ધોવાયાં જ્ઞાનથી પાપો, તેને જન્મ નહીં ફરી. ૧૭/૫ વિદ્વાન વિનયી વિપ્રે, તેમ ચાંડાળને વિષે, ગાયે, ગજેય, શ્વાનેયે જ્ઞાનીને સમદૃષ્ટિછે. ૧૮/૫ અહીં જ ભવ તે જીત્યા, સ્થિર જે સમબુદ્ધિમાં; નિર્દોષ સમ છે બ્રહ્મ, તેથી તે બ્રહ્મમાં ઠર્યા. ૧૯/૫ ન રાચે તે મળ્યે પ્રિય, નહીં મૂંઝાય અપ્રિયે; અમૂઢ, સ્થિર બુદ્ધિ તે બ્રહ્મજ્ઞ, બ્રહ્મમાં ઠર્યો. ૨૦/૫ વિષયોમાં અનાસક્ત જાણે જે આત્મમાં સુખ; તે બ્રહ્મયોગમાં યુક્ત અક્ષય સુખ ભોગવે. ૨૧/૫ કાં જે ઇન્દ્રિયના ભોગો દુ:ખકારણ માત્ર તે, ઊપજે ને વળી નાશે, જ્ઞાની રાચે ન તે વિષે. ૨૨/૫ કામ ને ક્રોધના વેગો છૂટ્યા પહેલાં જ દેહથી, અહીં જ જે સહી જાણે, તે યોગી, તે સુખી નર. ૨૩/૫ પ્રકાશ, સુખ ને શાંતિ જેને અંતરમાં મળ્યાં, થયેલો બ્રહ્મ તે યોગી બ્રહ્મનિર્વાણ પામતો. ૨૪/૫ પામતા બ્રહ્મનિર્વાણ ઋષિઓ ક્ષીણપાપ જે, અસંશયી, જિતાત્મા ને સર્વભૂતહિતે મચ્યા. ૨૫/૫ કામ ને ક્રોધથી મુક્ત, યતિ જે, આત્મનિગ્રહી, રહે તે આત્મજ્ઞાનીને બ્રહ્મનિર્વાણ પાસમાં. ૨૬/૫ વિષયોને કર્યા દૂર, દૃશ્ટિ ભ્રૂ-મધ્યમાં ધરી, નાકથી આવતાજાતા પ્રાણાપાન કર્યા સમ, ૨૭/૫ વશેંદ્રિય મનોબુદ્ધિ મુનિ મોક્ષપરાયણ, ટાળ્યાં ઇચ્છા-ભય-ક્રોધ, તે મુનિ મુક્ત તો સદા. ૨૮/૫ મ’ને સૌ ભૂતનો મિત્ર, સર્વ-લોક- મહેશ્વર, યજ્ઞ ને તપનો ભોક્તા જાણી તે શાંતિ પામતો. ૨૯/૫ શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘કર્મ-સંન્યાસ- યોગ’ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ. |