અધ્યાય ૧
અર્જુન વિષાદ યોગ
ધૃતરાષ્ટ્ર બોલ્યા– ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુદ્ધાર્થે એકઠા થઇ, મારા ને પાંડુના પુત્રો વર્ત્યા શી રીતે, સંજય ? ૧/૧ સંજય બોલ્યા – દેખી પાંડવની સેના ઊભેલી વ્યૂહને રચી, દ્રોણાચાર્ય કને પોં’ચી રાજા દુર્યોધને કહ્યું: ૨/૧ દુર્યોધન બોલ્યા– જુઓ, આચાર્ય, આ મોટી સેનાઓ પાંડવો તણી, જે તમ બુદ્ધિમાન્ શિષ્ય દ્રૌપદેવ્યૂહમાં રચી રચી ૩/૧ અહીં શૂરા ધનુર્ધારી ભીમ-અર્જુન શા રણે; યુયુધાન, વિરાટેય, દ્રુપદેય મહારથી; ૪/૧ કાશી ને શિબિના શૂરા નરેન્દ્રો, ધૃષ્ટકેતુયે, ચેકિતાન, તથા રાજા પુરુજિત કુંતિભોજનો: ૫/૧ કુંતિભોજ= ભૂરિશ્રવા, કુંતિભોજ એ કુળનું નામ છે. પરાક્રમી યુધામન્યુ, ઉત્તમૌજા પ્રતાપ વાન્ , ૬/૧ આપણા પક્ષના મુખ્ય, તેય, આચાર્ય ઓળખો; જાણવા યોગ્ય જે મારા સેનાના નાયકો કહું : ૭/૧ આપ, ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજ્યી કૃપ, અશ્વત્થામા, વિકર્ણેય, સોમદત્તતણો સુત. ૮/૧ બીજાયે બહુ છે શૂરા, હું-કાજે જીવ જે ત્યજે; સર્વે યુદ્ધકળાપૂર્ણ, અસ્ત્રશસ્ત્રો વડે સજ્યા. ૯/૧ અગણ્ય આપની સેના, જેના રક્ષક ભીષ્મ છે; ગણ્ય છે એમની સેના, જેનો રક્ષક ભીમ છે. ૧૦/૧ જેને જે ભાગમાં રાખ્યા, તે તે સૌ મોરચે રહી; ભીષ્મની સર્વ બાજુથી રક્ષા સૌ કરજો ભલી. ૧૧/૧ સંજય બોલ્યા– તેનો વધારવા હર્ષ, કરીને સિંહનાદ ત્યાં પ્રતાપી વૃદ્ધ દાદાએ બજાવ્યો શંખ જોરથી. ૧૨/૧ પછી તો શંખ, ભેરી ને નગારાં, રણશિંગડાં વાગ્યાં સૌ સામટાં તેનો પ્રચંડ ધ્વનિ ઊપજ્યો. ૧૩/૧ તે પછી શ્વેત અશ્વોથી જોડાયેલા મહારથે બેઠેલા માધવે-પાર્થે વગાડ્યા દિવ્ય શંખ બે. ૧૪/૧ પાંચજન્ય હૃષીકેશે, દેવદત્ત ધનંજયે, વાયો પૌંડ્ર મહાશંખ ભીમકર્મા વૃકોદરે: ૧૫/૧ અનંતજયને રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે, નકુલે-સહદેવેયે, સુઘોષ-મણિપુષ્પક: ૧૬/૧ કાશીરાજા મહાધંવા ને શિખંડી મહારથી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટેય, અપરાજિત સાત્યકિ; ૧૭/૧ દ્રુપદ, દ્રૌપદીપુત્રો, અભિમન્યુ મહાભુજા, સહુએ સર્વ બાજુથી શંખો ફૂંક્યા જુદા જુદા. ૧૮/૧ તે ઘોષે કૌરવો કેરી છાતીના કટકા કર્યા, અને આકાશ ને પૃથ્વી ભર્યા ગર્જી ભયંકર. ૧૯/૧ ત્યાં શસ્ત્ર ચાલવા ટાણે કૌરવોને કપિધ્વજે વ્યવસ્થાથી ખડા ભાળી ઉઠાવ્યું સ્વધનુષ્યને, ૨૦/૧ હૃશિકેશને આવું કહ્યું વેણ, મહીપતે: અર્જુન બોલ્યા– બન્ને આ સૈન્યની મધ્યે લો મારો રથ, અચ્યુત, ૨૧/૧ જ્યાં સુધી નીરખું કોણ ઊભા આ યુદ્ધ ઇચ્છતા, ને કોણ મુજ સાથે આ રણસંગ્રામ ખેલશે. ૨૨/૧ અહીં ટોળે વળેલા આ યોદ્ધાઓ જોઉં તો જરા, પ્રિય જે ઇચ્છતા યુદ્ધે દુર્યોધન કુબુદ્ધિનું. ૨૩/૧ | સંજય બોલ્યા— ગુડાકેશ તણા આવા વેણને માધવે સુણી બે સૈન્ય વચમાં ઊભો કીધો તે ઉત્તમ રથ; ૨૪/૧ ભીષ્મ ને દ્રોણની સામે, ને સૌ રાજા ભણી ફરી, બોલ્યા માધવ,”જો પાર્થ,કૌરવોના સમૂહ આ.” ૨૫/૧ ત્યાં દીઠા અર્જુને ઊભા બન્નેયે સૈન્યને વિશે– ગુરુઓ, બાપ, ને દાદા, મામાઓ, ભાઇઓ, સખા, ૨૬/૧ સસરા, દીકરા, પોતા, સુહૃદો, સ્વજનો ઘણા : અવા સર્વે સગાવ્હાલા ઊભેલા જોઇ, અર્જુન, ૨૭/૧ અત્યંત રાંક ભાવે શું, બોલ્યા ગળગાળા થઇ: અર્જુન બોલ્યા– દેખી આ સ્વજનો સામે ઊભેલા યુદ્ધ ઇચ્છતા, ૨૮/૧ ગાત્રો ઢીલાં પડે મારાં, મોઢામાં શોષ ઊપજે; કંપારી દેહમાં ઊઠે, રૂંવાડાં થાય છે ખડાં; ૨૯/૧ ગાંડીવ હાથથી છૂટે, વ્યાપે દાહ ત્વચા વિશે; રહેવાય નહીં ઊભા, જાણે મારું ભમે મન. ૩૦/૧ ચિહ્નનોયે અવળાં સર્વે, મ’ને દેખાય, કેશવ; જોઉં નહીં કંઇ શ્રેય હણીને સ્વજનો રણે. ૩૧/૧ નથી હું ઇચ્છતો જીત, નહીં રાજ્ય, નહીં સુખો; રાજ કે ભોગ કે જીવ્યું, અમારે કામનું કશું ? 32 ઇચ્છીએ જેમને કાજે રાજ્ય કે ભોગ કે સુખો, તે આ ઊભા રણે આવી ત્યજીને પ્રાણ-વૈભવો. ૩૩/૧ ગુરુઓ, બાપ ને બેટા, દાદા-પોતા વળી ઘણા, મામાઓ, સસરા, સાળા, સંબંધો, સ્વજનો બધા. ૩૪/૧ ન ઇચ્છું હણવા આ સૌ, ભલે જાતે હણાઉં હું; ત્રિલોક-રાજ્ય કાજેયે, પૃથ્વી કારણ કેમ તો ? ૩૫/૧ હણીને કૌરવો સર્વે અમારું પ્રિય શું થશે? અમને આતતાયીને હણ્યાનું પાપ કેવળ ! ૩૬/૧ માટે ન હણવા યોગ્ય કૌરવો, અમ બંધુઓ; સ્વજનોને હણી કેમ પામીએ સુખને અમે ? ૩૭/૧ લોભથી વણસી બુદ્ધિ તેથી તે પેખતા નથી કુળક્ષયે થતો દોષ મિત્રદ્રોહેય પાપ જે. ૩૮/૧ વળવા પાપથી પાછા આવા અમે કાં ન વિચારવું,- કુળક્ષયે થતો દોષ દેખતા સ્પષ્ટ જો અમે ? ૩૯/૧ કુળક્ષયે થતો નાશ કુળધર્મો સનાતન; ધર્મનાશે કુળે આખે વર્તે આણ અધર્મની. ૪૦/૧ અધર્મ વ્યાપતા લાજ લૂંટાય કુળનારની., કુળસ્ત્રીઓ થયે ભ્રષ્ટ વર્ણશંકર નીપજે. ૪૧/૧ નરકે જ પડે તેથી કુળ ને કુળઘાતકો; પિતરોયે પડે હેઠા ન મળ્યે પિંડતર્પણ. ૪૨/૧ કુળઘાતકના આવા દોષે સંકરકારક ઊખડે જાતિધર્મો ને કુળધર્મો સનાતન. ૪૩/૧ ઊખડે જે મનુષ્યોના કુળના ધર્મ, તેમનો સદાયે નરકે વાસ—એવું છે સાંભળ્યું અમે. ૪૪/૧ અહો કેવું મહાપાપ માંડ્યું આદરવા અમે ! કે રાજ્યસુખના લોભે નીકળ્યા હણવા સગા ! ૪૫/૧ ન કરતાં પ્રતીકાર મ’ને નિ:શસ્ત્રને હણે રણમાં કૌરવો શસ્ત્રે, તેમાં ક્ષેમ મને વધુ. ૪૬/૧ સંજય બોલ્યા— આમ બોલી રણે પાર્થ ગયો બેસી રથાસને, ધનુષ્યબાણને છોડી, શોકૌદ્વેગથી ભર્યો. 47 ‘અર્જુન-વિષાદ-યોગ’ નામનો પહેલો અધ્યાય પૂરો. |